વાંકાનેરના ચંદ્રપુર નજીક પોલીમર્સનું કારખાનું ધરાવતા અને વૃંદાવનપાર્કમાં રહેતા કારખાનેદાર પુત્રીની દાંતની સારવાર માટે રાજકોટ આવતા બંધ પડેલા મકાનને નિશાન બનાવી તસ્કરો ઘરના તાળા તોડી 1.70 લાખની માલમતાની ચોરી કરી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેરના વૃંદાવનપાર્કમાં રહેતા અને ચંદ્રપુર નજીક ઊર્મિ પોલીમર્સ નામનું કારખાનું ધરાવતા હસમુખભાઈ રતિલાલ મકવાણા (ઉ.વ.53) નામના આધેડે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.15ના રોજ તેઓ તેમના પરિવાર સાથે પુત્રીની દાંતની સારવાર માટે રાજકોટ આવ્યા હતા અને રોકાઈ ગયા બાદ તેમના પડોશીનો ફોન આવ્યો હતો કે તમારા ઘરના તાળા તૂટેલા છે. જેથી ઘેર આવી તપાસ કરતા તસ્કરો ઘરની તિજોરી તોડી તિજોરીમાં પડેલ સોનાના બે પેન્ડલ સેટ, ત્રણ બુટી, મંગળસૂત્ર, કડી, કાનની સેર, બે વિટી, નાકના છ દાણા સહિત 65 ગ્રામથી વધુ સોનાના દાગીના, ચાંદીનો જુડો, મગમાળા, સાકળા તેમજ ત્રણ મોબાઈલ ફોન સહિત 1.70 લાખની માલમતા ચોરી જતા ચોરીના આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.




