મોરબી શહેરના ખેલૈયાઓ માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરના વારસા સમાન અર્વાચીન ગરબા અને મોડી રાત્રે પાર્ટી પ્લોટમાં રમાતા ગરબાને 12 વાગ્યા સુધી જ ચાલુ રાખવા માટે પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. બહેનો દીકરીઓની સુરક્ષાને લઈને મોરબીમાં મોડી રાત્રી સુધી થતા ગરબાના આયોજન પર નિયંત્રણ માટે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા લેખિતમાં પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલથી માં ભગવતીની આરાધનાનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે બહેનો- દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમજ અસામાજિક તત્ત્વોને નાથવા માટે અર્વાચીન ગરબા, ડિસ્કો દાંડિયા, પાર્ટી પ્લોટમાં થતા ગરબાનો સમય રાત્રે 12 સુધીનો જ કરવામાં આવે.
નવરાત્રિના 9 દિવસ ગરબાપ્રેમીઓ મન મૂકીને નાચે છે ત્યારે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા ગરબાની સમય અવધિ 12 વાગ્યા સુધીની જ રાખવા લેખિતમાં માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જો આવું થશે તો મોરબીના ખેલૈયાઓને મોટો ફટકો પડશે.




