દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી દરમિયાન પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર થતી વિપરીત અસરને ધ્યાનમાં લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણ મુકતું પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ માત્ર ગ્રીન અને માન્યતા પ્રાપ્ત ફટાકડાનું જ ઉત્પાદન અને વેચાણ કરી શકાશે. લારિસ કે જોઇન્ટ ક્રેકર્સ જેવા ભારે ઘોંઘાટવાળા ફટાકડાઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધરાવતા વેપારીઓ જ કરી શકશે, જ્યારે ઈ-કોમર્સ વેબસાઈટ્સને ફટાકડાના વેચાણની મનાઈ રહેશે. બેરીયમના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
આ ઉપરાંત, દિવાળી તથા અન્ય તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાનો સમય રાત્રે 8 થી 10 વાગ્યા સુધી રહેશે, જ્યારે ક્રિસમસ અને નૂતન વર્ષના પ્રસંગે રાત્રે 11:55 થી 12:30 સુધી જ ફટાકડા ફોડી શકાશે. હોસ્પિટલ, નર્સિંગહોમ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો અને ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યા સુધીનો વિસ્તાર સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં ફટાકડા ફોડવા સંપૂર્ણ મનાઈ રહેશે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફટાકડાનું વેચાણ કરી શકાશે નહીં. દુકાનમાં અગ્નિસામક સાધનો, પાણીના ડ્રમ અને રેતીના ડોલ ફરજિયાત રાખવા પડશે. ચાઇનીઝ તુક્કલ, લેન્ડન તથા આતશબાજી બલૂનના વેચાણ તથા ઉડાડવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું 18 ઓક્ટોબરથી 5 નવેમ્બર 2025 સુધી, તેમજ 24-25 ડિસેમ્બર 2025 અને 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી 2026 સુધી અમલમાં રહેશે. જિલ્લા પ્રશાસન દ્વારા જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.




