મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં આવેલી લેમીનેટ ફેક્ટરીની છત પર સુતેલા શ્રમિકોના ચાર મોબાઈલ ચોરી થવાની ઘટના બાદ મોરબી તાલુકા પોલીસે ઈ-એફઆઈઆર નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં જ બે તસ્કરોને ઝડપી લઈને મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
મળતી વિગતો મુજબ, નેલ્સન લેમીનેટ કારખાનામાં કામ કરતા મૂળ થરાદના રહેવાસી શ્રમિકો ઉત્તમભાઈ ગણાજીભાઈ પરમાર, હાજાભાઈ ચૌધરી અને ભરતભાઈ ચૌધરી 11 ઑક્ટોબરની રાત્રે ફેક્ટરીની છત પર સુતા હતા. આ દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના પાસે રાખેલા રૂ. 48,000ની કિંમતના ચાર મોબાઈલ ફોન ચોરી કરી લીધા હતા.
શ્રમિકોએ આ અંગે ઈ-એફઆઈઆર નોંધાવતા, મોરબી તાલુકા પોલીસે ટેકનિકલ એનાલિસિસ દ્વારા ચોરી કરનાર તસ્કરો સુધી પહોંચ મેળવી ભુપત મોહનભાઈ ચૌહાણ (રહે. હાલ જેતપર, મૂળ સાપકડા તા. હળવદ) અને વિકાસ અનિલભાઈ લોરીયા (રહે. વીસીપરા, મૂળ કોટડા નાયાણી) એમ બે આરોપીઓને ચારેય ચોરાયેલા મોબાઈલ સાથે ઝડપી લીધા હતા.




