મોરબી શહેરના સિપાઇવાસ વિસ્તારમાં ગઈકાલે રાત્રે બનેલી છરી મારવાની ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બનાવ મામૂલી ઝઘડાથી શરૂ થઈ ખૂની ખેલ સુધી પહોંચ્યો હતો.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા વિભાગીય પોલીસ અધિક્ષક (મોરબી ડીવિઝન) પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈકાલે તા. ૧૯/૧૦/૨૦૨૫ની રાત્રે આશરે સવા એક વાગ્યે સીપાઇવાસ વિસ્તારમાં રહેનાર ખાલિદ ફિરોજભાઈ સમા નામના વ્યક્તિએ ફરીયાદી મોહસીન ફારૂકભાઈ કુરેશીને ફોન કરી કહ્યું હતું કે “તું મારી વહૂ સામે કેમ કાતર મારીને જુએ છે, તું સિપાઇવાસમાં આવ.”
તેના કહેવા મુજબ ફરીયાદી પોતાના બનેવી મકબુલ મહંમદભાઈ કુરેશી સાથે એક્ટીવા પર સીપાઇવાસ પહોંચ્યા હતા. ત્યાં ગઢની રાંગ પાસે ખાલિદ ફિરોજભાઈ સમા, તેનો ભાઈ શકીલ અને પિતા ફિરોજભાઈ ત્રણેય ઉભા હતા. વાતચીત દરમિયાન ખાલિદએ અચાનક નેફામાંથી છરી કાઢી ફરીયાદીના માથામાં ઘા કર્યો હતો.
આ દરમિયાન બચાવ કરવા આવેલા મકબુલ કુરેશીને પણ ખાલિદ સમાએ છરીના ઘા મારી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ મકબુલને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધતાં તાત્કાલિક ત્રણેય આરોપી ખાલિદ ફિરોજભાઈ સમા, શકીલ ફિરોજભાઈ સમા, ફિરોજભાઈ ઉસ્માનભાઈ સમા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ઝડપથી ત્રણેય આરોપીઓને કાબુમાં લઈ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર અને કપડાં કબજે કર્યા હતા. ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં રજુ કરી જેલહવાલે મોકલવામાં આવ્યા છે.




