મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા અને હરેશભાઈ બોપાલિયાએ આજે ગુજરાત સરકારમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સંભાળવા બદલ કાંતિભાઈ અમૃતિયાની રૂબરૂ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન એસોસિએશનના હોદ્દેદારોએ મંત્રી કાંતિભાઈ અમૃતિયાને સિરામિક ઉદ્યોગ વતી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને નવી જવાબદારી માટે અભિનંદન વ્યક્ત કર્યા હતા. મોરબીના સિરામિક ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નો અને પડકારો અંગે પણ આ મુલાકાત દરમિયાન ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ જેવી કે મજૂરોની સુરક્ષા, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, રોજગારીની તકનો વિસ્તાર તેમજ ઉદ્યોગને અનુકૂળ નીતિ ઘડતર જેવા મુદ્દાઓ પર સકારાત્મક વાતચીત થઈ હતી.
મંત્રીએ પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા કોઈપણ પ્રશ્નો અથવા સમસ્યાઓ ઉદ્ભવે તો તેઓ તાત્કાલિક તેમનો સંપર્ક કરે. તેમણે જણાવ્યું હતું કે સરકાર હંમેશાં ઉદ્યોગના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને સમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેશે.
મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ આ હકારાત્મક પ્રતિસાદ બદલ મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે સમગ્ર સિરામિક ઉદ્યોગ વતી તેમને શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




