પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જુના ટીંબડી ગામે રહેતા વિજય તેજાભાઈ ગમારા (ઉં.૨૭) રોજિંદા રોજગાર માટે મંદિરોમાં કામ કરતા હતા. રવિવારના રોજ તેઓ પોતાના ગામે આવેલ રામદેવપીરના મંદીરના શીખર પર મરામતનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક પગ લપસતા મંદીરના શીખર પરથી નીચે પડી ગયા હતા.
આ અકસ્માતમાં વિજયભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જો કે, રાજકોટથી પાછા મોરબી લાવતા સમયે માર્ગમાં જ વિજયભાઈનું દુર્ભાગ્યવશ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો છે તથા વધુ તપાસ હાથ ધરી છે.




