હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે વર્ષ 2020માં કૌટુંબિક ભાઈની પત્નીને રિસામણે તેડવા આવેલા યુવકની કુહાડીનો ઘા મારી હત્યા કરનાર આરોપીને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે
મળતી માહિતી મુજબ તા. 13 ઓક્ટોબર 2020ના રોજ રમેશભાઈ વાઘેલા તેમના કાકા મુન્નાભાઈ સાથે તેમની પત્નીને રિસામણેથી ઘરે લાવવા પ્રતાપગઢ ગામે ગયા હતા. સમાધાનની ચર્ચા ચાલી રહી હતી એ દરમિયાન આરોપી વિક્રમભાઈ વાઘજીભાઈ બારાણીયા એકાએક ઉશ્કેરાયા હતા અને પાછળથી હાથમાં કુહાડી લઈને આવી રમેશભાઈને કુહાડીનો ઘા મારી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા, જેઓએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
આ અંગે મૃતક રમેશભાઈના પુત્ર ખોડાભાઈ વાઘેલા રહે. વેગડવાવવાળાની ફરિયાદના આધારે હળવદ પોલીસ દ્વારા ગુનો નોંધાયો હતો.
કેસની સુનાવણી પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ પી.વી. શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી હતી, જેમાં કોર્ટે આરોપી વિક્રમભાઈ વાઘજીભાઈ બારાણિયાને કલમ 302 હેઠળ દોષિત ઠરાવી આજીવન કેદની સજા તેમજ રૂ. 10,000 દંડ ફટકાર્યો છે. દંડ ન ભરવામાં આવે તો વધુ બે વર્ષની સાદી કેદ ભોગવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે વિજયભાઈ જાનીએ સેવા આપી હતી.

