HomeMorbiઅણીયારી ટોલનાકા પાસે ગૌસેવકની નિર્દય હત્યા: વ્યાજખોરના ઈશારે છરીના ઘા ઝીંકી મોત,...
અણીયારી ટોલનાકા પાસે ગૌસેવકની નિર્દય હત્યા: વ્યાજખોરના ઈશારે છરીના ઘા ઝીંકી મોત, મોરબીમાં સનસનાટી
Advertisement
Advertisement
અમદાવાદ–કચ્છ હાઇવે પર માળીયા મિયાણા તાલુકાના અણીયારી ટોલનાકા નજીક ગત મોડી રાત્રે એક રોમાંચક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કતલખાને લઈ જવાતા પશુઓને બચાવવા વોચમાં રહેલા મોરબીના ગૌસેવક પર પાંચ ભાડૂતી શખ્સોએ હુમલો કરી નિર્દયતાથી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ સ્થિત આલાપ પાર્કમાં રહેતા વિવેક વિનોદભાઈ ઉર્ફે વેલજીભાઈ પટેલે માળીયા મિયાણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત રાત્રે તેઓ તેમના મિત્રો સાથે અણીયારી ટોલનાકા નજીક ધૈર્ય હોટલ ખાતે શંકાસ્પદ વાહનની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક એક ઇકો કાર આવી પહોંચી અને તેમાંમાંથી ઉતરેલા શખ્સોએ સીધો જ હુમલો બોલાવ્યો.આરોપીઓએ ગૌસેવક અનિલભાઈ હરિલાલ કંડીયાને નિશાન બનાવી છરીના આડેધડ ઘા ઝીંક્યા. બચાવવા વચ્ચે પડેલા વિવેકભાઈને પણ ગંભીર ઇજાઓ પહોંચાડી હુમલાખોરો ફરાર થઈ ગયા. ગંભીર રીતે ઘાયલ અનિલભાઈને પહેલા મોરબી અને બાદમાં રાજકોટ સારવાર માટે ખસેડાયા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
ચોંકાવનારી બાબત એ છે કે આરોપીઓએ પોતે ‘હોથલ ફાયનાન્સ’ના સંચાલક શિવમભાઈ રબારીએ મોકલ્યા હોવાની વાત કહી હોવાનું સામે આવ્યું છે, જેને કારણે સમગ્ર મામલો વ્યાજખોરી અને સોપારી હત્યાની દિશામાં વળી ગયો છે. આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ફરિયાદના આધારે શિવમ રબારી સહિત છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને ઝડપી તપાસ હાથ ધરી છે. આ નિર્દય હત્યાએ મોરબી સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
Advertisement
Advertisement