HomeMorbiમોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની જનરલ મીટિંગ યોજાઈ: યુદ્ધની સ્થિતિ અને ઉદ્યોગના...

મોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની જનરલ મીટિંગ યોજાઈ: યુદ્ધની સ્થિતિ અને ઉદ્યોગના પડકારો અંગે મહત્વની ચર્ચા

બેઠકમાં યુદ્ધના મૃતકો માટે બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ : વિશેષ અતિથિ તરીકે પધારેલા કેપેક્સિલના સિરામિક પેનલના ચેરમેન નીલેશ જેતપરિયાએ કલોક સાથે જોડાયેલા ઉદ્યોગકારો માટે નિકાસ અંગે માર્ગદર્શન સેમિનાર આપવાની કરી જાહેરાત

મોરબી: મોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ એસોસિએશનની તાજેતરમાં એક જનરલ મીટિંગ યોજાઈ હતી. જેમાં વર્તમાન વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ અને મોરબીના ઘડિયાળ ઉદ્યોગ પર તેની અસરો અંગે વિસ્તૃત અને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગમાં ક્લોક અને પાર્ટ્સ ઉદ્યોગ સાથે જોડાયેલા 200 જેટલા યુનિટ્સમાંથી 185 ઉદ્યોગકારોએ હાજરી આપી હતી.

આ મીટિંગ કલોક એન્ડ પાર્ટ્સ એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ દંગીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા કેપેક્સિલના સિરામિક પેનલના ચેરમેન નીલેશભાઈ જેતપરિયાએ યુવા ઉદ્યોગકારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં એક્સપોર્ટનું પ્રમાણ ઓછું છે અને નવા યુવાનો મોટા પ્રમાણમાં જોડાઈ રહ્યા છે, તેમજ મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આ ઉદ્યોગ અગ્રેસર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નીલેશ જેતપરિયાએ એક્સપોર્ટ ક્ષેત્રે માર્ગદર્શન આપવાની જાહેરાત કરી હતી. તેઓએ દર અઠવાડિયે 3 થી 4 કલાકનું એક સેશન, એમ કુલ 12 સેશન લઈને નવા ઉદ્યોગકારોને એક્સપોર્ટ બિઝનેસ શીખવવાની તૈયારી બતાવી હતી.

વિશ્વના કોઈપણ દેશમાં ચાલતા યુદ્ધમાં નિર્દોષ બાળકો જે મૃત્યુ પામે છે અથવા અનાથ થાય છે, તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા કલોક એસોસિએશને એક અનોખી પહેલ કરી છે. આ મીટિંગમાં જમણવારમાં કોઈ પણ પ્રકારની મીઠાઈ રાખવામાં આવી ન હતી અને મૃતક બાળકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. કલોક એસોસિએશન દ્વારા ગુજરાત અને ભારતના તમામ એસોસિએશનોને પણ અપીલ કરવામાં આવી છે કે વર્તમાન સ્થિતિને જોતા કાર્યક્રમોમાં મૃતકોની આત્મશાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે. ઉપરાંત વર્તમાન સમયમાં મિટિંગમાં મીઠાઈ રાખવામાં ન આવે.

આ સાથે વિદેશ નીતિ અંગે વાત કરતા ઉદ્યોગકારોએ કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રી એસ. જયશંકરની કામગીરીની પ્રશંસા કરી હતી. વર્તમાન કટોકટીમાં ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને રૂટ મામલે સરકારે લીધેલા નિર્ણયોને ઉદ્યોગકારોએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. અને કટોકટીના આ સમયમાં સમગ્ર ઉદ્યોગ સરકારની સાથે ઉભો હોવાનું જણાવ્યું છે.

ઉદ્યોગમાં કાચા માલના ભાવવધારા અને મંદીનો બેવડો માર

છેલ્લા એક વર્ષથી ઘડિયાળ બજારમાં મંદીનો માહોલ છે અને તેમાં પણ પ્લાસ્ટિકના કાચા માલ (રો મટીરીયલ)ના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ડિમાન્ડ ન હોવા છતાં ઉત્પાદન ખર્ચ વધતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, 95% નાના ઉદ્યોગકારો સર્વાઈવ કરી શકે તે માટે શટડાઉન લેવાના બદલે ઉત્પાદન ઘટાડવાની નીતિ અપનાવવામાં આવી છે. હવે માત્ર નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શન કરવાનો નિર્ણય લેવાયો છે. આ મુદ્દાઓ ઉપર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular