હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે નવાપરા વિસ્તારમાં રાત્રિના સમયે ચોરીની બે અલગ અલગ ઘટનાઓ બની હોવાનું સામે આવ્યું છે. તસ્કરોએ એક રહેણાંક મકાન અને એક બંધ મકાનને નિશાન બનાવતા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પર હાથ સાફ કર્યો છે.
મળતી માહિતી મુજબ, ઘનશ્યામપુરના નવાપરા વિસ્તારમાં રહેતા દયારામભાઈ લક્ષ્મણભાઈ સોનગારાના રહેણાંક મકાનની પાછળની બારી તોડી અજાણ્યા ચોરો ઘરમાં ઘૂસ્યા હતા. તેમણે તેજોરીમાંથી સોનાની બે બુટી, સોનાની એક બાલી, ચાંદીના ત્રણ જોડી સાંકરા તેમજ રૂ. 50 હજાર જેટલી રોકડ રકમ લઇ ગાયબ થયા હતા. આ ઉપરાંત, નજીકમાં જ આવેલ બંધ મકાનમાંથી પણ રૂ. 15 હજારની રોકડ ચોરી થયાની માહિતી મળી છે.
બનાવ બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તેમ છતાં, હળવદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જે લોકોમાં ચિંતાનો વિષય બની રહ્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પોલીસ ચોરીના ગંભીર બનાવોમાં એફઆઈઆર નોંધવાના બદલે માત્ર અરજી લઈને મામલો નિકાળી દેતી હોવાનો આક્ષેપ લોકો દ્વારા થઈ રહ્યો છે.




